જ્યારથી કોરોના વાયરસની સારવાર માટે પ્રાઇવેટ હોસ્પિટલોને પરવાનગી મળી છે ત્યારથી અનેક લોકો ત્યાં સારવાર લેવા જાય છે. ત્યારે અમદાવાદના નવરંગપુરાની શ્રેય હોસ્પિટલમાં પણ અનેક દર્દીઓ સારવાર લઈ રહ્યા હતા, ત્યારે અચાનક જ આજે વહેલી સવારે ICU વોર્ડમાં આગ લાગી હતી. આગ લાગતા કોરોનાના 8 દર્દીઓના ઘટના સ્થળે જ મોત થયાં છે. જ્યારે અન્ય 42 દર્દીઓને SVP હોસ્પિટલ ખસેડાયા છે.
એક જ પરિવારના પિતા-પુત્રનું મૃત્યુ
શ્રેય હોસ્પિટલની દર્દનાક ઘટનામાં એક જ પરિવારના કોરોના પોઝિટિવ પિતા-પુત્રએ પણ જીવ ગુમાવ્યો છે. ધોળકાના નવનીત શાહ અને તેમના પુત્ર નરેન્દ્ર શાહ છેલ્લા 10 દિવસથી કોરોના પોઝિટિવ આવતા શ્રેય હોસ્પિટલમાં દાખલ હતાં. ત્યારે અચાનક જ આગ લાગતા દાખલ પિતા-પુત્રનું મોત થયું છે.
હોસ્પિટલ તરફથી માંગવામાં આવે ત્યારે પૈસા ભરતા
મૃતકના પરિવારને જણાવ્યું હતું કે, તેઓ 10 દિવસથી સારવાર મેળવી રહ્યા હતા. તેમની તબિયત પણ સુધરી હતી. હોસ્પિટલ તરફથી જ્યારે કહેવામાં આવતું ત્યારે પૈસા પણ ભરતા હતા. અત્યાર સુધી કુલ સારવારના 11 લાખ રૂપિયા ભર્યા છે. પૈસા આપ્યા છતાં આજે હોસ્પિટલની બેદરકારીને કારણે પોતાના સ્વજનો ગુમાવ્યા છે. પરિવાર એક જ માંગ કરી છેકે, તેમને તેમના સ્વજન પરત જોઈએ છે. સમગ્ર મામલે તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી તેવો દાવો કરવામાં આવ્યો છે, પરંતુ હવે તપાસ થાય છે અને પરિવારને ન્યાય મળશે કે કેમ તે તો હોવાનું જ રહ્યું.