મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે જણાવ્યું છે કે, રાજ્યમાં ગુટકા તેમજ તમાકુ કે નીકોટીન યુક્ત પાન મસાલાના વેચાણ, સંગ્રહ અને વિતરણ પર હાલ પ્રતિબંધ રાખવામાં આવ્યો છે. નાગરિકોનું સ્વાસ્થ્ય વધુ સારું અને સુદ્રઢ બને તે માટે આ પ્રતિબંધ વધુ એક વર્ષ સુધી લંબાવવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે.
આ ઉપરાંત, ફૂડ સેફટી સ્ટાન્ડર્ડ એકટ-2006 અન્વયેના નિયમો તથા રેગ્યુલેશન-2011 હેઠળ આ પ્રતિબંધ મૂકાયો છે. જેના હેઠળ કોઇપણ ખાદ્યચીજમાં તમાકુ કે નીકોટીન ઉમેરવું એ પ્રતિબંધ છે. ગુટકામાં નાખવામાં આવેલા તમાકું કે નીકોટીન માનવ આરોગ્યને ખૂબ જ નુકશાન પહોંચાડે છે. જેથી નાગરિકો તથા ભાવિ પેઢીના સ્વાસ્થ્યને જાળવી રાખવા માટે ગુટકા પર પ્રતિબંધ મૂકવો જરૂરી બન્યો છે જેના કારણે આ નિર્ણય કરાયો છે.
રાજ્ય સરકાર દ્વારા ગુટકા, પાન મસાલા કે જેમાં તમાકુ કે નીકોટીનની હાજરી હોય તેના વેચાણ, સંગ્રહ વિતરણ પર પ્રતિબંધ માટે નિર્ણય લીધો છે. આ નિયમનો ભંગ કરનાર સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે.
શૈક્ષણિક સંસ્થાની 100 વારની ત્રિજ્યામાં સિગારેટ તથા તમાકુ કે નીકોટીનની હાજરી હોય તેવા પદાર્થોનું વેચાણ કરવા માટે પ્રતિબંધનો અમલ તંત્ર દ્વારા સખત રીતે કરાવવામાં આવી રહ્યો છે. આ બાબતે છેલ્લા 3 વર્ષમાં આરોગ્ય વિભાગના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા આશરે 10 હજાર પેઢીઓની તપાસ કરી આશરે 11 લાખ રૂપિયાનો દંડ વસુલ કરવામાં આવેલો છે.