રાજ્યમાં દરરોજ જીવલેણ કોરોના વાયરસનો કહેર વધતો જાય છે. એવામાં લોકો હજી પણ સરકારની કોરોના માટે જાહેર કરેલી ગાઈડલાઈનનું યોગ્ય પાલન ન કરતા હોવાનું તંત્રને ધ્યાને આવ્યું છે. ત્યારે આ મામલે રાજ્ય સરકારે હવે કડક પગલાં ભરવાની જાહેરાત કરી છે. જેમાં જો કોઈ મોલ , દુકાનમાં ગાઇડલાઇનનું યોગ્ય પાલન નહી કરાતું હોય તો ત્યાંના શોપકીપર, સ્ટોર માલિક કે મોલ મેનેજર પાસેથી દંડ વસૂલ કરવામાં આવશે.
રાજ્યમાં કોરોના બન્યો બેકાબુ
ઉલ્લેખનીય છે કે મોટા મોલ્સ, સ્ટોર્સ, શોપીંગ સેન્ટર્સમાં મોટી સંખ્યામાં લોકો ખરીદી કરવા ઉમટી પડે છે. ત્યારે સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક, સેનિટાઈઝર સહિતની તકેદારી અને ધાતક મહામારીનું સંક્રમણ વધે નહી તે અંતર્ગત ગુજરાત હાઈકોર્ટના મહત્વના નિર્દેશ મુજબ તમામ ગ્રાહકો સહિત દુકાનના માલિકો અને કર્મચારીઓએ પણ માસ્ક પહેરવું ફરજીયાત છે.
વાહન ચાલક અને મુસાફરો બન્ને પાસેથી દંડની વસુલાત કરવામાં આવશે
ત્યારે આ સંદર્ભે જો કોઈ પણ વ્યક્તિ માસ્ક વગર સરકારી વાહનમાં પ્રવેશ કરશે અને તંત્રને ધ્યાને ચડશે તો તે વાહનના ડ્રાઈવર સહિત વ્યક્તિને આકરામાં આકરો દંડ ફટકારવામાં આવશે. આ ઘાતક મહામારી વચ્ચે રાજ્યમાં લોકો ગાઈડલાઈનનું ઉલ્લંઘન કરતા જોવા મળી રહ્યા છે, ત્યારે આ મામલે સરકાર અત્યંત સખ્ત અને કડક થઈ છે, જેમાં સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે, ખાનગી કે સરકારી વાહન ચાલકો કે મુસાફરો જો માસ્ક વગર ફરતા પકડાશે તો વાહન ચાલક અને મુસાફરો બન્ને પાસેથી દંડની વસુલાત કરવામાં આવશે. ત્યારે હવે માસ્ક વગર ફરતા બહાદુરોએ હવે ચેતી જવાની જરૂર છે.